Time Management
ક્ષણ ગુમાવે એને જ્ઞાન અને કણ ગુમાવે એને ધન ક્યાંથી મળે?
ક્ષણેક્ષણનો ઉપયોગ કરવાથી જ વિદ્યા, જ્ઞાાનની પ્રાપ્તિ થાય છે અને ચીવટપૂર્વક જે કણેકણનો બચાવ કરે છે એ ધનવાન બને છે - સાચો ધનવાન બને છે. એવું ધન એની પાસે ટકી રહે છે અને એવી ચીવટને કારણે એવું ધન પેઢી દર પેઢી ટકી રહેતું હોય છે.
આવેલી પળ પસાર થઈ જાય છે અને એનો યોગ્ય ઉપયોગ નથી થઈ શકતો ત્યારે એ વેડફાઈ જાય છે. સમય જ એક એવી કીમતી વસ્તુ છે જેની કિંમત એના વાપરનારને નથી હોતી.
એક સ્પર્શી જાય એવું કટાક્ષયુક્ત કથન છે : Too many of us spend our time the way politicians spend our money. જે રીતે રાજકારણીઓ આપણા પૈસા વાપરે (ઉડાવે) છે એ રીતે આપણામાંના મોટાભાગના માણસો પોતાનો સમય વાપરે છે-ઉડાવી દે છે. પળેપળનો ઉચિત ઉપયોગ કરવો, એટલું જ નહીં, પરંતુ આવનારી પળને ઓળખવી, સમજવી અને એમાં રહેલી તકોને ઝડપી લેવી એમાં જ માણસનાં સુખ અને સમૃદ્ધિનો આધાર રહેલો છે.
મનુષ્યનું ભાગ્ય સમયની યોગ્ય પળને પકડવા સાથે સંકળાયેલું છે. ઘણા માણસોમાં એ આવડત જન્મજાત હોય છે, પરંતુ બીજા માણસો પણ એ જરૃર શીખી શકે છે. સૌથી પહેલાં એ શીખવા માટે માણસને પોતાને સમયનું મહત્ત્વ સમજવું જરૃરી છે. જ્યાં સુધી માણસ સમયની અગત્ય સ્વીકારે નહીં ત્યાં સુધી સમય પારખવાની આવડત એનામાં આવતી નથી. સમયના પ્રવાહમાં હંમેશાં ભરતી-ઓટ આવ્યા કરે છે એ જોવા અને જાણવા માટે માણસે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે.
ચાર્લ્સ કાર્બનને કોઈએ પૂછયું, "જીવનમાં આગળ વધવા માટે, સુખી થવા માટે કઈ વસ્તુની વધારે જરૂર છે - બુદ્ધિની? શિક્ષણની? શક્તિની?"
લાંબું આયુષ્ય ભોગવનાર અને ર્કીિતની ટોચે પહોંચનાર એ પ્રખ્યાત અદાકારે પોતાનું માથું હલાવીને કહ્યું, "ત્રણમાંથી એકેયની નહીં. એ ત્રણ વસ્તુઓ મદદ કરી શકે, પણ માણસમાં ત્રણેય વસ્તુઓ હોય છતાં જો એને સમય પારખતાં ન આવડે તો એ નિષ્ફળ જાય. પ્રગતિ કરવા માટે સૌથી અગત્યની ચીજ છે સમયની યોગ્ય પળની ઓળખ."
દરેક માણસના જીવનમાં એવી પળો આવે છે જ્યારે એણે નક્કી કરવાનું હોય છે કે અમુક કામ કરવું કે ન કરવું? અમુક વાત કહેવી કે ન કહેવી? બોલવું કે મૂંગા રહેવું? સમયની પળની આ પિછાન માનવીના જીવનમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. લગ્નજીવન, લોકવ્યવહાર, કામ કરવાની પદ્ધતિ, દરેક બાબતમાં જે સમયની યોગ્ય પળ ઉપર પ્રભુત્વ મેળવી શકે છે તેને સફળતા પાછળ દોડવું પડતું નથી- સફળતા તેની પાછળ દોડતી આવે છે.
પોતાની લાંબી જિંદગીમાં જેણે અનેક તોફાનો અને ઝંઝાવાતો જોયાં હતાં એવા અનુભવી માણસનું ડહાપણ આ વાતમાં ઘૂંટાયેલ છે. સફળતા અને નિષ્ફળતા વચ્ચે માત્ર એક જ ચીજ ઊભેલી હોય છે અને તે સમયની પળ. એ પળને પારખીને જો તમે એક રસ્તો પકડો તો સફળતા મળે, બીજા રસ્તે જવાથી નિષ્ફળતા મળે.
જીવનયંત્રનાં ચક્રો ઘણાં છે અને એ બધાં ચક્રો એટલી તો અટપટી રીતે ગોઠવાયેલાં છે કે કસમયે એમાં દખલ કરનાર વ્યક્તિ બીજા કરતાં ઘણી વાર પોતાને વધારે નુકસાન કરે છે. એવી વ્યક્તિ પછી બીજાને દોષ દે છે, પણ સમયને ઓળખી નહીં શકવાની પોતાની અણઆવડતનું એમને ભાન થતું નથી.
રાજકારણમાં અને જાહેર જીવનમાં તો સમયની યોગ્ય પળને પારખવાની માણસની શક્તિ ઉપર જ એની ચડતી કે પડતીનો આધાર રહે છે. જે કામ યોગ્ય પળે કરીને એક વ્યક્તિ ટોચ ઉપર પહોંચી શકે છે, એ જ કામ અયોગ્ય પળે કરીને બીજી વ્યક્તિ ઉપરથી નીચે પછડાય છે. રાજકારણીઓની ચડતી-પડતીનો અભ્યાસ કરનારને આ વસ્તુ સ્પષ્ટ દેખાય છે.
એટલે સમયની પળને ઓળખવાનું મહત્ત્વ સૌથી પહેલાં સ્વીકારવું જોઈએ.
સમયની પળને ઓળખવાનું મહત્ત્વ સમજ્યાં પછી પળનો યોગ્ય ઉપયોગ કરવા માટે માણસે પોતાની જાતના આવેગોને કાબૂમાં રાખતાં શીખવું જરૃરી બને છે. ક્રોધ, ઈર્ષા, આવેશ, ડર કે ઉશ્કેરાટને વશ થઈને કશું જ કરવું ન જોઈએ. આ રીતે જાત ઉપર કાબૂ રાખવાનું માણસ માટે મુશ્કેલ તો હોય છે જ અને વારંવાર એનો ભંગ થવાની શક્યતા રહેલી છે, પરંતુ અભ્યાસથી કાબૂ મેળવવાનું શક્ય બને છે.
માણસ પળની યોગ્ય પસંદગી કરવા માટે જીવનના વ્યાપનો વિચાર કરવાની ટેવ પાડવી જોઈએ. માત્ર વર્તમાનનો જ વિચાર કરવાના બદલે પોતે જ કંઈ કરશે એની ભવિષ્યમાં શું અસર પડશે એનો વિચાર પણ માણસે કરવો જોઈએ. એક કામ કરવાથી આજે, આ પળે કશું જ પ્રાપ્ત થતું હોય, પણ ભવિષ્યનું આખું ચિત્ર જ બદલાઈ જતું હોય એવું બને. ઘઉંનો જે દાણો ખેડૂત જમીનમાં નાખે છે એ થોડી વાર તો નષ્ટ થઈ ગયેલો દેખાય છે, પરંતુ સમય જતાં એક દાણામાંથી ઘઉંના અનેક દાણા ઊગી નીકળે છે.
સમયની પળની યોગ્ય પસંદગી થાય છે ત્યારે સમય પોતાનું વહેણ બદલીને માણસને અનુકૂળ બની જાય છે અને સમય તો સતત વહેતો જ રહે છે. સમયની ક્ષણો તો માણસ સામે આવ્યા જ કરે છે. તેમાંની કઈ પળે કયું કામ કરવું તે જાણવું મુશ્કેલ તો હોય જ છે, પરંતુ અશક્ય નથી હોતું.
|