KHOVAYELA NI KHOJMA - JULES VERNE સાવ જુદા જ પ્રકારે અને જુદા જ માહોલમાં લખાયેલી આ કથા જૂલે વર્નની મહાનવલકથાઓ પૈકીની એક છે. આજથી દોઢસો વર્ષ પહેલાંની દુનિયાની આ વાત છે. "ખોવાયેલાની ખોજમાં'નો કથાનાયક લૉર્ડ ઍડવર્ડ ગ્લેનાર્વન જુદા જ હેતુ માટે દરિયાઈ સફરે નીકળે છે. શાર્કના શિકાર દરમિયાન એના પેટમાંથી નીકળેલી કાચની બૉટલમાંના અસ્પષ્ટ અને ચૂંથાઈ ગયેલા દરિયાઈ સંદેશમાં મદદની માગણી થઈ હતી. એના જ દેશના કૅપ્ટન ગ્રાન્ટના જહાજ "બ્રિટાનિયા''ને મદદની જરૂર હતી. પત્રમાંના તૂટક શબ્દોના આધારે કરી શકાયેલા અર્થધટન પ્રમાણે જ એ સ્થળની શોધ કરવાની હતી. અને મુશ્કેલીઓમાં ફસાયેલા પોતાના દેશવાસીને બચાવવાનો હતો. જૂલે વર્નની આ કથામાં પ્રવાસ છે, સાહસ છે, ઈતિહાસ અને ભૂગોળ પણ છે. અહીં વિજ્ઞાન તો છવાયેલું જ રહે છે, પરંતુ વર્નની કથાઓમાં ભાગ્યે જ દેખાતો હાસ્યરસ પણ અહીં છે. બે મહાખંડો અને એક ટચૂકડા દેશની ધરતી અને લોકજીવનને આવરી લેતી અને ત્રણ ભાગમાં લખાયેલી આ કથાનું ફલક ધણું મોટું છે. જૂલે વર્નની આ કથાના વિષમ અનુભવોમાંથી કથાનાયકોની સાથે સાથે સહૃદયી ભાવકો પણ અનાયાસપણે પસાર થતા હોય એવું અનુભવશે.